LYRIC

|| જય સૂર્યનારાયણ ||
સૂર્યનારાયણ નુ વ્રત. આ વ્રત મહા સુદ સાતમ થી લેવાય છે.આ વ્રત કરવાને નિત્યક્રમથી પરવરી સૂર્યનારાયણ ની પૂજા કરવી.સૂર્યનારાયણ ની વાત સાંભળાવી અને એ વખતે સૂર્યનારાયણ સૂર્યનારાયણ નું ઉચ્ચારણ કરવું. આ રીતે આ વ્રત છ માસ સુધી કરવુ.
સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા. સૂર્યનારાયણનું કામ તો તમે જાણો જ છો પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવમાત્ર નું પોષણ કરવું.
એક દિવસ સૂર્યનારાયણની માતા કહે કે બેટા હવે તો હું ઘરડી થઈ મારાથી કામ નથી બનતું માટે તું જલ્દી લગ્ન કરે તો સારું.
ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે તેને રન્નાદે નામની દીકરી છે અને તે મને પસંદ છે તો તેની સાથે મારી સગાઈ કરી આવજે .
બીજા દિવસે સૂર્યનારાયણની માતા રન્નાદેની માતા પાસે સૂર્યનારાયણ નું માંગુ લઈને ગયા, કહ્યું કે તમારી દીકરી ની સગાઇ મારા દિકરા સાથે કરો ત્યારે રન્નાદેની માતાએ કહ્યું ના તમારો દીકરો સવારે બહાર જાય છે અને સાંજે ઘરે આવે છે ત્યાં સુધીમા મારી દીકરી ભૂખી રહી શકે નહીં તમારા પુત્ર સાથે મારી દીકરી ની સગાઇ નહીં કરું.
સાંજે સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે માતા એ બધી વાત કહી એ નિરાશ બની ગયા.
ત્યારે સૂર્યનારાયણ કહે ચિંતા ન કરીશ હુ રન્નાદે સાથે જ પરણીશ. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું આજે રન્નાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે થીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજુર હોય તો લઈ જાઓ.
બપોરે ઉનાળાનો ધોમધખતો તાપ પડ્યો. ત્યારે રન્નાદે કહે માં મને ખૂબ જ તાપ લાગે છે આપણે શું ખાવાનું બનાવશુ? ત્યારે તેની મા કહે દીકરી રોટલા ઘડી નાખ. ઘી
સાકર ને રોટલા ખાશુ. ત્યારે રન્નાદે કહે માં આપણી પાસે તાવડી તો છે જ નહીં.
ત્યારે તેની માએ કહ્યું એક કામ કર સૂર્યનારાયણના ઘરેથી લઈ આવ.રન્નાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની મા કહે કે થીકરી ફૂટશે તો દીકરી લઈશ શરત મંજૂર હોય તો લઈ જા.
રન્નાદે ઘેર પાછી આવી તેની માને વાત કરી તો મા કહે એમ ક્યા ફૂટી જવાની છે તું તારે લઈ આવ.
રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં બે આખલા લડતાં હતાં તેની અડફેટમાં આવતા તાવડી ફુટી ગઇ.
રન્નાદેએ માને ઘેર જઈને વાત કરી તો માતાએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા.
સાંજ પડી સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે તેની માતાએ કહ્યું કે બેટા તારી સગાઈ રન્નાદે સાથે કરી ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ થયો.
માં જઈને રન્નાદેની માતાને કહો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે.
રન્નાદેના ઘેર જઈ સૂર્યનારાયણની માતાએ વાત કરી તો રન્નાદેની માતાએ કહ્યું એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય ત્યારે સૂર્યનારાયણની માએ કહ્યું કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણને છે.
બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા ત્યારે રન્નાદેના ઘરનું છાપરું ઊડી ગયું અને તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો તેના ઘરની બધી જ સામગ્રી ભરાઈ ગઈ .
બીજા દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયાં.
સૂર્યનારાયણ નિત્ય સવારે જાય અને સાંજે આવીને જમે પછી રન્નાદે જમે. એટલે રન્નાદેનુ શરીર સૂકાવા લાગ્યુ.
એક દિવસ તેની મા કહે કે બેટા તારુ શરીર કેમ સુકાઈ જાય છે રન્નાદે કહે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે.
ત્યારે તેની મા કહે તેમને કહેજે કે સાકરનું પાણી પીને જાય પછી તને જમવામાં કશો વાંધો નહીં.
બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાવને ,ત્યારે સૂર્યનારાયણ કહે નવખંડ ધરતીમાં જીવ માત્રને ના જમાડુ ત્યાં સુધી મારાથી પાણીય ન પીવાય એમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા.
રન્નાદેને વિચાર આવ્યો કે શું દરેક જીવનું પૂરું કરતા હશે? આજ તો એમની પરીક્ષા કરુ. તેમણે એક કીડીને પકડી દાબડીમાં પૂરી દીધી.
સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે કે તમે સર્વે જીવોનું પૂરું કર્યું ?
ત્યારે સૂર્યનારાયણ કહે હા! ત્યારે રન્નાદે કહે ખોટી વાત એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી, ત્યારે પોતાના ચાંદલાનો ચોખો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી હતી, એ જોઈએ રન્નાદે વિચારમાં પડી ગયા.
સૂર્યનારાયણે કહ્યું તમે મારા પર શંકા કરી તેથી હું તમને શાપ આપું છું તમે ગમે તેટલું રાંધો તોય પૂરું નહીં થાય એમ કહી જમવા બેઠા એક કોળિયો પોતાની મા માટે રાખ્યો ને એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જ જમીને ઉભા થઈ ગયા
બીજે દિવસે પાડોશમાં વાવડ ચાલી, રન્નાદે પૂછયું બહેન તમે દરરોજ શા માટે લડો છો પાડોશણે કહ્યું કોઈ મારા છાણા ચોરી જાય છે.
સાંજ પડી સૂર્યનારાયણ આવ્યા ત્યાં રન્નાદે કહે આપણા પાડોશણના છાણા કોણ લઈ જતું હશે?
સૂર્યનારાયણ કહે થોડાબોલી લે છે અને બહુ બોલી માથે પડે છે.
બીજા દિવસે પાછો પાડોશમાં ઝઘડો થયો ત્યારે રન્નાદે કહે કે દરરોજ શું કામ લડો છો તમારા છાણા થોડાબોલી લઈ જાય છે.
ત્યારે થોડાબોલી કહે તને કોણે કહ્યું? રન્નાદે કહે મને સૂર્યનારાયણે કહ્યું.
પેલી બાઈએ સૂર્યનારાયણને ખૂબ જ ગાળો દીધી.
સૂર્યનારાયણ આવ્યા અને જમવાનું કહ્યું તો કહે આજ મારે નથી જમવું આજે ગાળો ખાઈને મારું પેટ ભરાઈ ગયું છે.
રન્નાદેએ સૂર્યનારાયણની માફી માંગી.
સૂર્યનારાયણે કહ્યું કે હવે આવી ભૂલ ન કરશો.
એક દિવસ સૂર્યનારાયણ કહે માં તમારું શરીર કેમ સુકાતું જાય છે?
ત્યારે માતા કહે દીકરા એક કોળિયો ખાઇને રહીએ છીએ એટલે શરીર સુકાઇ જાય છે.
ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો.
મારું વ્રત છ મહિનાનુ છે. છ માસ પૂરા થાય એટલે સવાશેર ઘઉંનો લોટ , સવાશેર ઘી અને સવાશેર ગોળ લેવાનો. તેનો લાડુ બનાવી મને ધરાવાના.એક લાડુ રમતા બાળક ને આપવાનો બીજો ગાયોના ગોવાળને આપવાનો ત્રીજો માળિને આપવાનો અને ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવો.આ રીતે મારું વ્રત કરવાનું, વ્રત કરનારની દરેક ઈચ્છા પુરી થાય છે.
રન્નાદે અને સૂર્યનારાયણની માતા એ બંનેએ આ વ્રત કર્યુ.
છ માસ પૂરા થતાં ઉજવણું કર્યુ. દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા?!
એટલામાં રામ લક્ષ્મણ ફરતાં-ફરતાં આવ્યા. ડોશીમા એ તેમને જમાડયા.
હવે તેમને થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઇ.
આમ સૂર્યનારાયણના વ્રતથી લીલાલેર થઇ ગઈ.
જય સૂર્યનારાયણ! તમારું વ્રત જે કોઈ કરે તેમની મહેચ્છા પૂરી કરજો. જેવા રન્નાદેને ફળ્યા એવા સહુને ફળજો!

No comments yet